નિત્યનીશી ૨.
ચંદરવો -૬ : દેવિકા ધ્રુવ : ફુલશીયર, હ્યુસ્ટન
જુલાઈ, ૨૦૨૩
ડાયરીનું પાનું ખોલું તે પહેલાં વિચાર્યું હતું કે, પૉર્ટલેન્ડના પ્રવાસ અંગે લખવું છે. પણ શરૂ કરવા બેઠી છું ત્યારે હવે આંખ સામે પહેલું જે દૄશ્ય આવે છે તે સવારમાં ખુલ્લાં ખેતરોમાં ચરતી ગાયોનાં ધણનું. એ ચિત્રને ડાયરીમાં દોરવાનું એક વિશેષ કારણ છે.
અત્યાર સુધીમાં પશુ-પંખી-પ્રાણીઓનાં વાણીવિહીન જગતની, વ્યવહારની, એકબીજાંની કાળજી વગેરે વિશે ઘણું બધું વાંચ્યું છે, જાણ્યું છે અને અવલોક્યું પણ છે. પરંતુ ગાયોની કડક શિસ્તબદ્ધતા જિંદગીમાં પહેલી વાર, નજર ન ખસેડી શકાય તે રીતે સતત ચાળીસેક મિનિટ સુધી જોવા/માણવા મળી. એમાં એવું હતું કે, લગભગ ૨૦૦થી પણ વધારે ગાયો તેમની નક્કી કરેલ જગાએ જઈ રહી હતી. સૌથી પ્રથમ એક ગાય, લીડરની જેમ આગળ ચાલે; તેની પાછળ પાછળ દસેક ગાયો ચાલે. થોડે આગળ જઈને પેલી પહેલી ગાય પાછું વળીને ત્રાંસી નજરે જુએ અને ઊભી રહે. પછી પાછળની દસે ગાયો આવી જાય એટલે તેમની સાથે એ થોભે. જ્યાં સુધી પાછળની બીજી ગાયોની લીડર-ગાય ચાલવાની શરૂઆત ન કરે ત્યાં સુધી રાહ જુએ. જેવું બીજું ગ્રુપ ચાલવાની શરૂઆત કરે તે પછી જ એ પહેલું ગ્રુપ આગળ ચાલે. એ પ્રમાણે એક પછી એક બધી ગાયો અનુસરે. બરાબર એ જ રીતે એ બધી ગાયોનાં લગભગ ૨૦-૨૨ જેટલાં ગ્રુપ્સ બને અને બધાં જ ખૂબ વ્યવસ્થિત, હારબંધ અને શિસ્તબદ્ધ રીતે ચાલે. જોવાનું એટલું આશ્ચર્યજનક લાગે કે વાત નહિ. પછી એક નાનકડું વાછરડું ઘણે દૂર રહી ગયું હતું તો છેલ્લાં ગ્રુપની લીડર-ગાય પાછી વળીને વાછરડાને લઈ આવી. વળી ત્યાં સુધી તેનું ગ્રુપ પણ રાહ જોતું ઊભું રહી ગયું હતું! ઓહોહોહો.. અદ્ભૂત દૄશ્ય જોવા મળ્યું. આ તે કેવી સમજણ! કેટલી નૈસર્ગિક ચેતના! ઘડીભર લાગે કે જાણે શિક્ષકો પોતપોતાના વર્ગના વિદ્યાર્થીઓને દોરી જતા ન હોય! તે પછી તો ઈશ્વરની આ લીલા પર, મૂંગા વિશ્વના વિસ્મયો પર વારી જવાયું. માનવીને વાણી શું કામ મળી હશે?! એવા કંઈ કેટલાયે વિચારો મન પર સવાર થઈ ગયા.
ખરેખર, જેટલું સૌંદર્ય અને વિસ્મય કુદરતમાં ભર્યું પડ્યું છે તેટલું જીવમાત્રમાં પણ છે જ. જગતમાં જેટલા જીવો છે, પદાર્થો છે તે બધા એક વિશેષ ચેતનાથી જ ઉદ્ભવે છે અને વર્તે છે. અખિલ બ્રહ્માંડમાં જે વ્યવસ્થા અને સમતોલન પ્રવર્તે છે તેનાથી એક વાત તો સિદ્ધ થાય છે જ કે, આ સઘળુંયે દર્શાવનાર અને નિયંત્રણ રાખનાર એક સુપ્રીમ પાવર છે જ. જગતમાં બધું ચૈતન્યરૂપ છે. એ જ આત્મા. ઉપનિષદમાં પણ કહ્યું છે કે, सर्वात्मवेदनं शुद्धं यदोदति तवात्मकम्..’તાજેતરમાં ક્યાંક વાંચવામાં પણ આવ્યું હતું કે, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને એડિનબર્ગમાં ‘ઈવોલ્યુશનરી ડેવલપમેન્ટ બાયોલોજી’ પર સંશોધન કરનારા એક બ્રિટિશ જીવ-વિજ્ઞાનીએ એમના પુસ્તકોમાં આવી જ વાત સાબિત કરી છે.
નવાઈની બીજી વાત એ પણ જોવા મળી કે બધી જ ગાયો રાતી હતી. કોઈ ધોળી કે કાળી નહિ! કેવું કહેવાય?! ત્યાં નજીક જઈને કારણ પૂછવું હતું. પણ વચમાં રેલગાડીનો પાટો હતો.
બીજી તરફ નજર પડી કે, કેટલાક લોકો માત્ર ફેમિલી માટે જ ખેતી કામ કરતા હતા. કશું ધંધાકીય નહિ. એકદમ વ્યવસ્થિત. લીલી અને તાજી ભાજી ઉગાડે, રોજ ભોજન પૂરતી ચૂંટે. રોજેરોજ સવાર-સાંજ નિયમિત કાળજીપૂર્વક જતન કરે. વિવિધ પ્રકારની ‘Berry’-Blueberry, Strawberry, Blackberry અને લીલી grapes પણ જોવા અને ચાખવા મળી. તે લોકોની પાસે તો જઈ શકાયું અને બધી વાતો સાંભળતાં સાંભળતાં મોસાળમાં માણેલા ગામનું દૄશ્ય ખડું થઈ ગયું. અતિ પ્રેમાળ બા(નાની)ની યાદો પણ ફરકી ગઈ.
આ બધું ડાયરીમાં લખતાં રહેવાનું ખાસ કારણ એ છે કે, સમયની સાથે એટલે કે, ઉંમરની સાથે ઘણું બધું ભૂલાઈ જાય છે. ક્યારેક કશું યાદ કરવું હોય તો યાદોને ખેંચી, ઢંઢોળી, પાછળની કડીઓ સાંધીસાંધી છેવટે જે જોઈતું/કહેવું/માણવું હોય છે તેને, જે તે સમય અને પ્રસંગની સાથે ફરી પાછું નજર સામે લાવવું પડતું હોય છે. એટલે ફોટો-આલ્બમની જેમ ડાયરી તો તરત બધું હાજરાહજૂર કરી દે છે તે ફાયદો કંઈ ઓછો નથી! અને ભવિષ્યમાં કોઈ વાંચે તો એ વળી બીજો plus point!
જુલાઈ ૪, ૨૦૨૩
-થોડા દિવસ પહેલાં એક અણધાર્યા સમાચાર ફોનમાં “ડીંગ” અવાજ સાથે મળ્યા; વલીભાઈ મુસાની વિદાયના. હવે તો એ ઘટનાને બે અઠવાડિયાં વીતી ગયાં. છેલ્લાં થોડાં વર્ષોમાં સાહિત્યજગતે ઘણા સર્જકો ગુમાવ્યા. બધા જ અવારનવાર યાદ આવે છે અને જેમની સાથે વિશેષ પરિચય થયો હોય તેમને માટે તો આંસુ સરે જ. વલીભાઈ તેમાંના એક હતા. ‘હતા’ શબ્દ લખવાનું આકરું લાગે છે. યોસેફ મેકવાનના સમાચાર પણ આમ જ મળ્યા હતા. ભારતની મુલાકાત દરમ્યાન એ બંનેને મળવાનું બનતું રહેતું. વલીભાઈ એક અચ્છા ઇન્સાન હતા, એક સારા સાહિત્યકાર હતા અને ઉમદા મિત્ર પણ હતા. ભાઈ શ્રી નવીન બેંકરના તો નિકટના મિત્ર એટલે દિલ ખોલીને બંને એકબીજા સાથે વાતો કરતા. હવે બંને મળી ત્યાં ઉપર એકબીજાને પ્રેમથી ભેટીને મળશે અને સાહિત્યગોષ્ઠી કરશે એ વિચારે આંખો ભીંજાય છે. આ વિચાર પણ કેવો છે! એક પ્રકારની શ્રદ્ધા જ ને? બાકી જનારા કોણે આવીને કહ્યું કે ઉપર ગયા પછી શું થાય છે? સ્વર્ગ અને નર્કની કલ્પના જ છે, બાકી ખરેખર તો બધું અહીં જ છે અને મૃત્યુ તો, મૃત્યુ પછીના જીવનનો એક પડદો જ કહી શકાય-જો નવો જન્મ અને જીવન હોય તો-
નવીનભાઈના ઉલ્લેખે અને નજીકમાં આવતી રક્ષાબંધનના વિચારે, યાદો વધુ ઘેરી બની ડાયરી ભીની કરે તે પહેલાં અહીં જ થોભવું પડશે. ખુદા વલીભાઈની રૂહને જન્નત બક્ષે એ જ દુઆ સાથે…ઓહ..ફરી પાછી એ જ કલ્પના અને શ્રદ્ધા “જન્નત”ની…
અસ્તુ.
જુલાઈ ૮, ૨૦૨૩
—દેવિકા ધ્રુવ
જુલાઈ ૨૦૨૩